સોમનાથ/પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’ માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. આ તકે તેમણે દેશ અને દુનિયાને ભારતની વધતી જતી સંકલ્પશક્તિનો સંદેશ આપ્યો હતો.
90 મીટર ઊંચા શિખર પર કુંભાભિષેક અને પુષ્પવર્ષા
વડાપ્રધાન મોદીએ આજે સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર ખાસ ક્રેનની મદદથી 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો હતો. ત્યારબાદ ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા કરી હતી. આ દિવ્ય ક્ષણે ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
‘શિવ-શક્તિ’ નો મહિમા: પોખરણને કર્યું યાદ
જનસભાને સંબોધતા પીએમ મોદીએ આજે 11 મે (નેશનલ ટેક્નોલોજી ડે) નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું, “આજે જ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. ‘ઓપરેશન શક્તિ’ દ્વારા ભારતે સાબિત કર્યું કે આપણે દબાવવાથી દબાઈએ તેમ નથી. શિવની સાથે શક્તિની પૂજા આપણી પરંપરા છે, તેથી જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.”
સરદાર પટેલનો સંકલ્પ અને સાંસ્કૃતિક વિરાસત
પીએમએ સરદાર પટેલને યાદ કરતા જણાવ્યું કે, સોમનાથનું પુનઃનિર્માણ એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે નહેરુના વિરોધ છતાં સરદાર સાહેબે આ મંદિર મક્કમતાથી બનાવ્યું હતું. આજે અયોધ્યા, કાશી અને ઉજ્જૈન દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી ભવ્ય બનાવી રહ્યું છે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:
-
સ્મારક સિક્કો: પીએમએ ₹75નો ખાસ સ્મારક સિક્કો અને ટિકિટનું વિમોચન કર્યું.
-
સૂર્યકિરણ એર શો: વાયુસેનાની ટીમે સોમનાથના આકાશમાં અદભૂત કરતબ બતાવ્યા.
-
વડોદરામાં સ્વાગત: હવે PM વડોદરા જશે, જ્યાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત થશે અને ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે.