ગાંધીનગર:
સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ નિર્ણય લીધો છે. રાજ્યમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને ઝડપી, પારદર્શક અને સરળ ન્યાય મળી રહે તે હેતુથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સુવિધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રહે
નવી અમલમાં આવેલી સિસ્ટમ મુજબ, જો કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને છે તો તેણે હવે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. નાગરિક માત્ર 1930 હેલ્પલાઇન પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવશે, અને સિસ્ટમ દ્વારા આપોઆપ ‘e-Zero FIR’ જનરેટ થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને પહોંચી જશે. આનાથી તપાસ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે અને ફ્રોડ થયેલી રકમ હોલ્ડ કે હોલ્ટ કરવાની શક્યતાઓ અનેકગણી વધી જશે.
આ પણ જૂઓઃ https://youtu.be/0wi8IxViQkI?si=e06A5L7sckrSEYSB
I4C ના સંકલનથી તૈયાર કરાઈ વ્યવસ્થા
સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના I4C (Indian Cyber Crime Coordination Centre) સાથે સંકલન કરીને આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. 1930 પર મળતી ફરિયાદના આધારે FIR આપોઆપ જનરેટ થશે. ત્યારબાદ પોલીસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે.
પ્રથમ કેસમાં જ ₹15.76 લાખની રકમ બચાવાઈ
આ સિસ્ટમની સફળતાનો પુરાવો પ્રથમ કેસમાં જ જોવા મળ્યો હતો. અમદાવાદના એક ‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં રાજ્યની પ્રથમ e-Zero FIR નોંધવામાં આવી હતી. સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત એક્શન લેતા ફરિયાદીના ગુમાવેલા રૂ. 15.76 લાખથી વધુની રકમ બચાવી લીધી હતી.
આ લોન્ચિંગ પ્રસંગે ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિક, I4Cના CEO રાજેશ કુમાર સહિત રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.