અમદાવાદ: જો તમારું ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) માં છે, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. આવતીકાલથી એટલે કે 23 મે થી 28 મે 2026 સુધી SBI ની શાખાઓમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. વીકએન્ડ, કર્મચારીઓની હડતાળ અને બકરી ઈદની રજાઓને કારણે સતત 6 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા છે.
શા માટે 6 દિવસ કામકાજ નહીં થાય?
SBI માં કામકાજ અટકવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:
-
વીકએન્ડ રજા (23-24 મે): 23 મે ના રોજ ચોથો શનિવાર અને 24 મે ના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
-
સ્ટાફ હડતાળ (25-26 મે): ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ પોતાની 16 પડતર માંગણીઓને લઈ સોમવાર અને મંગળવારે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે.
-
બકરી ઈદની રજા (27-28 મે): RBI ના કેલેન્ડર મુજબ 27 મે ના રોજ બકરી ઈદની રજા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં 28 મે ના રોજ પણ રજા રહેશે.
કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ
SBI કર્મચારીઓ શા માટે હડતાળ પર જઈ રહ્યા છે? સ્ટાફ ફેડરેશનની મુખ્ય માંગણીઓમાં નવી ભરતીઓ, આઉટસોર્સિંગ પર રોક, NPS માં સુધારો, અને બેંકિંગ પ્રોડક્ટ્સના ‘મિસ-સેલિંગ’ પર અંકુશ મૂકવાનો સમાવેશ થાય છે. આ હડતાળમાં ક્લાર્ક અને અન્ય નીચલા સ્તરનો સ્ટાફ જોડાવાનો હોવાથી કેશ કાઉન્ટર, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવા કામો અટકી જશે.
ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
-
ડિજિટલ બેંકિંગ: શાખાઓ બંધ હોવા છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને UPI સેવાઓ ચાલુ રહેશે.
-
ATM સુવિધા: રોકડની જરૂરિયાત માટે ATM નો ઉપયોગ કરી શકાશે, પરંતુ લાંબી રજાઓને કારણે કેશની અછત સર્જાઈ શકે છે, તેથી આજે જ પૂરતી રોકડ ઉપાડી લેવી હિતાવહ છે.