નવી દિલ્હી/અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રાજ્યસભાની ખાલી થઈ રહેલી ૨૪ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ૧૦ રાજ્યોની આ બેઠકો પર ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના આ જાહેરનામા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે.
ગુજરાતની ૪ બેઠકો પર જંગ
ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર મહત્વના સાંસદોનો કાર્યકાળ જૂન ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં ભાજપના રામ મોકરીયા, નરહરી અમીન, અને રમીલાબેન બારા તથા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ગુજરાતની આ ચારેય બેઠકો માટે ૧૮ જૂને ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવશે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ (Schedule):
-
ચૂંટણી જાહેરનામું (Notification): ૧ જૂન, ૨૦૨૬
-
નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: ૮ જૂન, ૨૦૨૬
-
નામપત્રોની ચકાસણી (Scrutiny): ૯ જૂન, ૨૦૨૬
-
ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીખ: ૧૧ જૂન, ૨૦૨૬
-
મતદાન અને મતગણતરી: ૧૮ જૂન, ૨૦૨૬ (સવારે ૯ થી સાંજે ૪ મતદાન, ૫ વાગ્યે પરિણામ)
કયા રાજ્યોમાં કેટલી બેઠકો ખાલી?
કુલ ૧૦ રાજ્યોની ૨૪ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેની વિગત નીચે મુજબ છે:
-
૪-૪ બેઠકો: ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક.
-
૩-૩ બેઠકો: મધ્યપ્રદેશ અને રાજસ્થાન.
-
૨ બેઠકો: ઝારખંડ.
-
૧-૧ બેઠક: મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ.
આ દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થશે
આ ચૂંટણીમાં દેશના અનેક દિગ્ગજ રાજકીય ચહેરાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાં:
-
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
-
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા
-
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ
-
કેન્દ્રીય મંત્રીઓ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ બિટ્ટુ
ખાસ પેનનો ઉપયોગ ફરજિયાત
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાન પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યોએ માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવતી ખાસ જાંબલી (Purple) રંગની સ્કેચ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ પેનથી કરેલું મતદાન અમાન્ય ગણવામાં આવશે.