બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની તપાસમાં માયાભાઈ આહિરની સંડોવણી સામે આવતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ પોલીસની પોલ ખોલી નાંખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને તેની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરાઈ હતી. તેને મેડિકલ ચેકઅપ બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયરાજ આહીરની ધરપકડ થતાં કોળી સમાજના લોકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી.
ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી
રેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈ તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે ફરી જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયાને માર મારવા મામલે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.