મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા એક કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ આગની દુર્ઘટનાને પગલે સરકારી અનાજના મોટા જથ્થા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે વહીવટી તંત્ર અને ફાયર વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ગુજરાત વેરહાઉસ અને નાફેડની મગફળીનો મોટો જથ્થો
મળતી માહિતી અનુસાર, જે કારખાનાના ગોડાઉનમાં આ આગ લાગી છે, તેમાં ‘ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન’ (Gujarat Warehousing Corporation) ની મગફળીનો મસમોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સંસ્થા ‘નાફેડ’ (NAFED) દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી અંદાજે ૧,૫૯,૦૦૦ મગફળીની બોરીઓ હાલમાં જ આ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા માટે મૂકવામાં આવી હતી.
https://www.youtube.com/@Lalkaar-News09
મોટા નુકસાનની ભીતિ, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે
એકસાથે ૧.૫૯ લાખ જેટલી મગફળીની બોરીઓ ભરેલી હોવાના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જો આગ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે, તો કરોડો રૂપિયાની કિંમતનો સરકારી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ શકે છે અને મોટા આર્થિક નુકસાનની ભીતિ છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.