સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગર ખાતે ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ કરાયેલા વિવાદિત ડિમોલિશન પ્રકરણમાં મનપાએ આખરે મોટો એક્શન લીધો છે. વિશેષ તપાસ સમિતિના અહેવાલ બાદ તટસ્થ ખાતાકીય તપાસ માટે ઘટનાસ્થળે હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાલા અને સુજલ પ્રજાપતિ સહિત ૫ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજમોકૂફ) કરી દેવામાં આવ્યા છે. જોકે, હાઇકોર્ટની કડક ઝાટકણી બાદ આ કાર્યવાહી માત્ર ‘મોટી માછલીઓ’ને બચાવવા માટે નાના અધિકારીઓને બલિનો બકરો બનાવવાનો કારસો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ 5 અધિકારીઓ પર પડી સસ્પેન્શનની ગાજ
-
સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ – કાર્યપાલક ઈજનેર (સિવિલ)
-
જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા – કાર્યપાલક ઈજનેર (સેન્ટ્રલ ઝોન)
-
અર્પણ મનસુખલાલ પરમાર – ડેપ્યુટી ઈજનેર
-
મોનિક બાબુભાઈ ગઢીયા – આસિસ્ટન્ટ ઈજનેર
-
નરેશકુમાર બીનલભાઈ ગલચર – જુનિયર ઈજનેર
વાયરલ વીડિયો અને રજા પર ઉતરી ગયેલા રામજીવાલા
ડિમોલિશન દરમિયાન માથા પર રૂમાલ બાંધીને ઘટનાસ્થળે હાજર રહેલા સેન્ટ્રલ ઝોનના એન્જિનિયર જયાંગ રામજીવાલાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમની હાલત કફોડી બની હતી. વિવાદ વકરતાં જ તેઓ પોતાને બચાવવા ૮ જૂનથી અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા હતા.
પોતાનો ઝોન ન હોવા છતાં સુજલ પ્રજાપતિનો રહસ્યમય રોલ
તપાસમાં કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ રહી છે:
-
સુજલનો પોતાનો ઝોન ન હોવા છતાં તેઓ ત્રણ પોકલેન, બે જેસીબી બ્રેકર અને ૬૦ માણસોની વ્યવસ્થા કરી સ્થળ પર પહોંચ્યા હતા.
-
જે તે ઝોનના મૂળ જવાબદાર અધિકારીને ઉપરી સાહેબનો મેસેજ બતાવી સાઇડલાઇન કરી દીધા હતા.
-
પોતાના વિભાગના એકપણ અધિકારી સાથે ન હોવા છતાં, તેમણે પોલીસની હાજરીમાં તોડફોડ શરૂ કરાવી હતી.
હાઇકોર્ટે પોલીસ કમિશનરનો ઉધડો લીધો
૨૯ જૂને ગુજરાત હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સુરત પોલીસ કમિશનરની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે ગંભીર ટિપ્પણી કરી કે, “પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે ૧૬ દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?” હાઇકોર્ટે ડીમાર્કેશનની કામગીરીમાં DCP કક્ષાના અધિકારીઓની હાજરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. આ કેસની આગામી સુનાવણી ૨ જુલાઈના રોજ યોજાશે.
₹30.58 કરોડના ખાનગી પ્રોજેક્ટ સાથે કનેક્શન?
આ આખી કાર્યવાહી પાછળ બિલ્ડર લોબીનું મોટું હિત છુપાયેલું હોવાના ચોંકાવનારા પુરાવા મળ્યા છે. ગુજરેરા (GujaRERA) ના સત્તાવાર રેકોર્ડ મુજબ, જે જગ્યાએ ગરીબોના આશિયાના તોડી પડાયા તેની બિલકુલ બાજુમાં જ ₹૩૦,૫૮,૩૦,૮૫૫ ના માતબર ખર્ચે ‘પાલિયા લાઇફસ્ટાઇલ 1’ (Paliya Lifestyle 1) નામનો મોટો ખાનગી આવાસ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. આ ડિમોલિશન બિલ્ડરોના ફાયદા માટે જ કરાયું હોવાના ગંભીર આક્ષેપો હવે સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે.