Monsoon 2026: વલસાડમાં 4 કલાકમાં મુશળધાર વરસાદ, સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી; લિંબાયત ગરનાળું બેટમાં ફેરવાયું
સુરત/વલસાડ: ગુજરાતમાં ‘અલ-નીનો’ પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયેલા ચોમાસા વચ્ચે આજે (૨૨ જૂન) વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સુરત શહેર, વલસાડ, નવસારી અને તાપી સહિતના પંથકોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. લાંબા સમયના અસહ્ય બફારા બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ સુરત અને વલસાડ શહેરમાં પાણી ભરાઈ જતાં વહીવટી તંત્રની બેદરકારી અને નબળી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ છતી થઈ ગઈ છે.
સુરતમાં પાલિકાની પોલ છતી, લિંબાયત ગરનાળું પાણીમાં ડૂબ્યું
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબોળ બન્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેમ લિંબાયત ગરનાળું ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયું છે. ઉધના વોટર વર્કસ પાસેના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા હતા. સ્થાનિક લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
વલસાડમાં અંડરપાસ બંધ, ૪ કલાકમાં ૧.૧૮ ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં વલસાડમાં ૧.૧૮ ઇંચ (૩૪ MM) વરસાદ ખાબક્યો છે, જ્યારે બાજુના પારડી તાલુકામાં ૧૭ MM વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે વલસાડ અને મુઘરાવાળીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે, આ વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા જગતના તાતમાં ખુશીનો માહોલ છે.
વરસાદ છતાં તાપમાનમાં ઉછાળો, અમદાવાદ ૪૦.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ
બીજી તરફ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણમાં એક વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા હોવા છતાં પવનોની દિશા બદલાતાં ગરમી ઘટવાને બદલે પારો ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં ૪૦.૨ ડિગ્રી નોંધાતા કાળઝાળ ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. રવિવારે રાત્રે પણ લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રીથી વધુ રહેતા રાત્રે ભારે અકળામણ અનુભવાઈ હતી.
૨૩ જૂન બાદ ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે: હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૩ જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. ૨૩ જૂન બાદ ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધી શકે છે, જેના કારણે ખેડૂતોની અટકેલી વાવણી ફરી શરૂ થઈ શકશે.