નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 13 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કાર્યાલયની નવી ઈમારત ‘સેવા તીર્થ’ તેમજ ‘કર્તવ્ય ભવન–1’ અને ‘કર્તવ્ય ભવન–2’નું શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કરશે, જોકે તે પહેલાં જ પ્રધાનમંત્રી દક્ષિણ બ્લોક ખાતે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિટિશ યુગના સચિવાલય ભવનમાં યોજાનારી આ બેઠક, નવા પીએમઓ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’માં સ્થાનાંતરણ પહેલાંની અંતિમ કેબિનેટ બેઠક હશે.
નવા ભારતનો નવો અધ્યાય
આ સાથે ભારતીય કાર્યપાલિકા પર લગભગ સવા સો વર્ષથી રહેલી બ્રિટિશ છાપનો અંત આવશે અને સ્વતંત્ર આધુનિક ભારતની સુવ્યવસ્થિત અને નિરંતર કાર્યપદ્ધતિનું નવું અધ્યાય શરૂ થશે. સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, આ પીએમઓમાં યોજાનારી અંતિમ કેબિનેટ બેઠક હશે. દક્ષિણ બ્લોકનું ડિઝાઇન 1900ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકર દ્વારા બ્રિટિશ શાસનની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યું હતું.
સેવા તીર્થમાં સ્થાનાંતરણ
શુક્રવારે બપોરે 4 વાગ્યે યોજાનારી આ બેઠક બાદ પીએમઓનું ‘સેવા તીર્થ’માં સત્તાવાર સ્થાનાંતરણ થશે. આ ઘટના એક યુગના અંતનું પ્રતિક ગણાશે, કારણ કે 1921થી સત્તાના કેન્દ્ર તરીકે રહેલા ઉત્તર અને દક્ષિણ બ્લોકને તમામ સરકારી વિભાગો ખાલી કરશે. સરકાર આ ઐતિહાસિક ઈમારતોને ‘યુગે યુગેન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય’માં પરિવર્તિત કરવાની યોજના ધરાવે છે, જે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા યાત્રાને દર્શાવતું વિશ્વસ્તરીય મ્યુઝિયમ બનશે. આ સ્થળાંતર સરકારની ઉપનિવેશી ઢાંચાથી મુક્ત અને આધુનિક શાસન વ્યવસ્થા સ્થાપિત કરવાની વ્યાપક પહેલનો એક ભાગ છે.

સવા સો વર્ષનો ઈતિહાસ
નૉર્થ અને સાઉથ બ્લોક છેલ્લા સવા સો વર્ષથી દેશના સત્તાકેન્દ્ર તરીકે ઓળખાતા રહ્યા છે. અગાઉ ગૃહ મંત્રાલય પણ લ્યુટિયન્સ દિલ્હીના રાઈસીના હિલ્સ સ્થિત નૉર્થ બ્લોકમાંથી સ્થાનાંતરિત થઈ ચૂક્યું છે. પીએમઓએ જણાવ્યું છે કે ‘સેવા તીર્થ’ અને ‘કર્તવ્ય ભવન–1 અને 2’નું ઉદ્ઘાટન ભારતના પ્રશાસનિક શાસન માળખામાં પરિવર્તનકારી માઈલસ્ટોન સાબિત થશે. આ પ્રધાનમંત્રીની આધુનિક, કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત શાસન વ્યવસ્થા ઉભી કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
અતિ મહત્ત્વનું કાર્યાલય
દાયકાઓથી કેન્દ્રિય મંત્રાલયો અને સરકારી કચેરીઓ સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં જૂની અને વિખરાયેલી ઇમારતોમાં કાર્યરત હતી. હવે ‘સેવા તીર્થ’માં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એક જ સ્થળે કાર્ય કરશે. ‘કર્તવ્ય ભવન–1 અને 2’માં કાનૂન, રક્ષા, નાણાં, આરોગ્ય, કૃષિ સહિતના મહત્વપૂર્ણ મંત્રાલયોના કાર્યાલય રહેશે.