ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતાં. તેમણે સમાજની એકતા અને શિક્ષણ મુદ્દે જાગૃતિને સમર્થન આપ્યું હતું. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, આજે સમાજની સાથે રાજકીય આગેવાનો પણ એક મંચ પર છે. સમાજને એક કરવા માટે 15 વર્ષથી પ્રયાસો કર્યાં છે. આજે મને એવું લાગ્યું છે કે મારો સમાજ જાગી ગયો છે. વ્યસન મુક્તિની વિચારધારા મુકી ત્યારે લોકો હસતા હતાં. રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા લોકો વ્યસનમુક્ત થયા છે. જો વર્ષો પહેલાં વ્યસનમુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજની હોત. વ્યસનમુક્તિની સફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે
અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સમાજના મોટા આગેવાનો આજે ઉચ્ચ હોદ્દા પર નથી દેખાતા, આજે યુવાનો ઉચ્ચ અધિકારી બનવાના પ્રયાસ કરી રહ્યાં છે. આપણા સમાજે આગળ આવેલા સમાજો પાસેથી શીખવું પડશે. આપણા હક અને અધિકાર માટે જાગવુ પડશે. ઠાકોર સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે. સરકારે બજાર કરતાં 50 ટકા ભાવે જમીન આપી છે, જે સમાજ માટે મોંઘી પડે છે છતાં લઈ લીધી છે. સરસ્વતી ધામમાં 2 હજાર દીકરા-દીકરીઓ રહી શકશે અને બાળકોના ભવિષ્યનું ઘડતર થશે. દરેક જગ્યાએ શિક્ષણ ધામ અને ભવનો બની ગયા છે. લગ્નોમાં ખોટા ખર્ચા માટે જમીનો વેચાય નહીં અને સમાજના નાગરિકોએ જમીન સાચવી રાખવી પડશે. હું રાજનીતિમાં કંઈ આપી શકું તેમ નહીં હોય તો રાજનીતિ છોડી દઈશ. 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે.
દીકરીઓએ 12મા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ
અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરસ્વતીધામનું ભૂમિપૂજન કરાયું છે. જે યુવક અને યુવતીઓ માટે શિક્ષણની તકો વધારવાનું આયોજન છે. આ બધા પ્રયાસો સમાજના બાળકોના ભવિષ્યનું સ્વપ્ન પૂરું કરવા અને તેમના અભ્યુદય માટે કરવામાં આવી રહ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને, દીકરીઓએ 12મા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવા પડશે. આવનાર સમયમાં સમાજની મહિલાઓની રોજગારી અંગે પણ વિચારવું પડશે અને દીકરીઓને કોઈપણ મોરચે લડવા તૈયાર કરવા પડશે. સમાજને આગળ વધવા માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો રહ્યો છે. અન્ય સમાજ શિક્ષિત બની પ્રગતિ કરી રહ્યા છે તેનું એનાલિસિસ કરવા અને આપણો સમાજ પણ તે જ દિશામાં આગળ વધે એ માટે આજે સૌ એક મંચ પર આવ્યા છે.