અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને AMC દ્વારા ઢોર પોલીસી અમલી બનાવાઈ છે. શહેરમાં 12 જેટલા જાહેર સ્થળોને કોર્પોરેશન દ્વારા નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાના અસરકારક અમલ માટે પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક ઢોર માલિક ઢોરને ભગાડી દેતા સીએનસીડી વિભાગના કર્મચારીએ ઢોર માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. જાહેરનામાના અમલ માટે નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે.પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારો નો કેટલ ઝોન તરીકે જાહેર કરાયા
શહેરના ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુમાલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇ-વે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.